ગુજરાતમાં નકલીની બોલબાલા છે. છેલ્લા ઘણા સમયથી અનેક નકલી અધિકારીઓ પકડાયા છે. નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી કચેરી, નકલી ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે. ત્યારે યુવરાજસિંહ ફરી એક વખત કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહ દ્વારા એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે જેમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોકોના નામની ચર્ચા થઈ રહી છે તેમનું એવું કહેવું છે કે તેઓ દેશના ગૃહમંત્રી અમિત શાહના સગા છે ઉપરાંત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમનો ઘરોબો છે. જે લોકો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે તેમનું કહેવું છે કે તમામ સરકારી ભરતીમાં તેમનું સીધું સેટિંગ છે!
રુપિયા લઈ બનાવટી ઉમેદવારોની ભરતી થઈ છે!
યુવરાજસિંહ અનેક વખત કૌભાંડનો પર્દાફાશ કરતા હોય છે. કૌભાંડ અંગે જ્યારે તે ફરિયાદ કરવા જતા હોય છે ત્યારે પોલીસ તેમની ફરિયાદ નથી લેતી તેવી વાત અનેક વખત તેમના દ્વારા કરવામાં આવે છે જેને કારણે તેમને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે અને આવી રીતે કૌભાંડ સામે લાવવો પડે છે. સરકારી નોકરીમાં નકલી ભરતી થઈ હોવાની વાત તેમણે કરી છે. યુવરાજસિંહના કહેવા અનુસાર પોલીસ, સબઓડિટર, જીપીએસસી, રેલવે, આરોગ્ય ખાતામાં બનાવટી ઉમેદવારોની ભરતી થઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે બે લોકોના નામ લીધા હતા. કેતન શાહ અને રણજીત ઓડે રૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી છે તેવી વાત યુવરાજસિંહે કરી છે.