"નવા સીમાંકન " અને "ત્રિભાષા" વિવાદ વચ્ચે હવે તમિલનાડુએ "₹" નો સિમ્બોલ બદલવાની જાહેરાત કરી છે . આ જાહેરાત તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્તાલિને બજેટ દરમ્યાન કરી હતી . "₹" નો સિમ્બોલ ચેન્જ કરીને તમિલ શબ્દ "રુબાઈનો" પેહલો અક્ષર રૂ. "ரூ" લેવામાં આવ્યો છે . આ બતાવે છે કે તમિલનાડુ સરકાર હિંદીનો વિરોધ કરતા કરતા છેક રૂપિયા સુધી પહોંચી ચુકી છે .

હાલમાં રૂપિયાનો સિમ્બોલ છે તે દેવનાગરી લિપિનો "₹" જેની ઉપર રેખા ખેંચાયેલી છે તે છે. હવે તમિલનાડુ સરકારે તમિલ લિપિના અક્ષર રૂ "ரூ" ને રૂપિયાના સિમ્બોલ તરીકે પસંદ કર્યો છે . આ કરવા પાછળનું કારણ આપતા તમિલનાડુ સરકારે કહ્યું છે કે , તમિલ ભાષાને બચાવવા માટે અને તેનો ફેલાવો કરવા માટે આ પગલું લેવાયું છે . તમિલ ભાષામાં રૂપિયાને "રુબિયા" તરીકે લખવામાં આવે છે , તેમણે તેનો પેહલો અક્ષર રૂ સિમ્બોલ તરીકે "ரூ" લીધો છે . આ પેહલીવાર છે કે , કોઈ પણ રાજ્ય સરકારે આ રીતે "રૂપિયાનો" સંકેત બદલવાની જાહેરાત કરી છે . તમિલનાડું સરકારે આ જાહેરાત ૨૦૨૫-૨૦૨૬ના બજેટ દરમ્યાન કરી હતી . તમિલનાડુના મુખ્યમંત્રી એમ . કે સ્તાલિને પ્લેટફોર્મ X પર આ વિશે એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી જેમાં તેમણે લખ્યું છે , "તમિલનાડુના વ્યાપક વિકાસ અને સમાજના બધા જ સ્તરનો વિકાસ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે . " રૂપિયાનો સિમ્બોલ બદલવાનું એક બીજું ગર્ભિત કારણ એ પણ છે કે , આવતા વર્ષે ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે , તમિલનાડુ સરકાર "હિન્દી" Vs "તમિલ" કરી તમિલ અસ્મિતા પર રાજનીતિ કરવા માંગે છે .

વાત કરીએ હાલના રૂપિયાના સિમ્બોલની "₹" તો તેને એક તમિલ વ્યક્તિ દ્વારા જ ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમનું નામ છે ઉદય કુમાર ધર્મલિંગમ છે. તેમના પિતા એન. ધર્મલિંગમ તમિલનાડુના સત્તારૂઢ પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમના ધારાસભ્ય પણ રહી ચુક્યા છે . તમિલનાડુ સરકારના આ નિર્ણયને લઇને રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે . ત્યાંના ભારતીય જનતા પક્ષના પ્રદેશપ્રમુખ કે.અન્નામલાઈએ પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે , "તમિલનાડુ આયોજન પંચના વાઇસ ચેરપરસને આ રૂપિયાનો સિમ્બોલ બદલતા કહ્યું છે કે , આ દેવનાગરી લિપિનો હતો એટલે તેને બદલી નખાયો છે . તમિલનાડુના મુખ્યમંત્રી આવા ચમચાઓથી ઘેરાયેલા છે . આ બધું માત્ર એટલે કરવામાં આવે છે કેમ કે જેનાથી સરકારની બિન - કાર્યક્ષમતા છુપાવી શકાય . છેલ્લા ચાર વર્ષના ડીએમકે શાસનની આ હકીકત છે . મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પિતાએ જેને સમર્થન આપ્યું દીકરો હવે તેને અસ્વીકાર કરે છે . "

તમિલનાડુમાં સત્તારૂઢ પક્ષ ડીએમકે ને એક ડર બીજેપીનો પણ છે કેમ કે , તેમનો ફેલાવો દક્ષિણના રાજ્યોમાં ઝડપથી થઈ રહ્યો છે . ગયા વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીઓમાં બીજેપીનો તમિલનાડુમાં વોટશેર ૧૧ ટકા રહ્યો હતો જયારે તેના પાડોશી રાજ્ય કેરળમાં બીજેપીને ૧ સીટ ૧૬ ટકા વોટશેર સાથે ફાળે ગઈ છે .

તમિલનાડુના આ નિર્ણયથી બિહાર રાજ્યની રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે કેમ કે , આ વર્ષના અંતમાં ત્યાં ચૂંટણી છે , દક્ષિણમાં ભાષાનો જેટલો વિવાદ થશે ભાજપ તેનો બિહારમાં ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે . આ પેહલા રાજદના નેતા તેજસ્વી યાદવની ચેન્નાઇ યાત્રાને ભાજપ મુદ્દો બનાવી ચુકી છે . હમણાંજ થોડા સમય પેહલા બિહારમાં નવા પક્ષ જન સુરાજના નેતા પ્રશાંત કિશોર પણ ચેન્નાઇ જઈને આવ્યા છે . તો હવે જોવાનું એ છે કે "હિન્દી"ની વિરુદ્ધમાં "તમિલ" પર રાજનીતિ ક્યાં સુધી થતી રહે છે.