થોડા સમય પહેલા શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદ તરીકે અપાતો મોહનથાળ બંધ કરી દેવામાં આવ્યો હતો. તેની બદલીમાં ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રસાદને લઈ લેવાયેલા નિર્ણયને કારણે ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભારે વિવાદને કારણે ફરી એક વખત મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત મોહનથાળ પ્રસાદ ચર્ચામાં છે કારણ કે અંબાજી મહામેળામાં પ્રસાદ બનાવતા કેટરર્સના ઘીનાં સેમ્પલ ફેલ ગયા છે તેવી માહિતી સામે આવી છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘી ના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી પૂનમનાં મહામેળામાં લાખો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હોય છે.
ઘીના સેમ્પલ થયા ફેલ!
માની 51 શક્તિપીઠમાંની પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એવા સમાચાર આવી રહ્યા છે. હમણા જ ભાદરવી પૂનમનો મેળો ભરાયો હતો અને પૂર્ણ પણ થઈ ગયો છે. ત્યારે અંબાજીથી સમાચાર મળી રહ્યા છે કે ભક્તોને અપાતા મોહનથાળનો પ્રસાદ આરોગ્ય વિભાગની તપાસમાં ફેલ ગયો છે. લાખો ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો છે. 40 લાખથી વધારે માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. શક્તિપીઠ મા અંબા સામે ભક્તોએ શીશ ઝુકાવ્યું છે. મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે જે ઘી વાપરવામાં આવ્યું છે તે ઘી ચોખ્ખું નથી પરંતુ ભેળસેળ વાળું હોવાની માહિતી સામે આવી છે.
મોહિની કેટરર્સને ત્યાંથી લેવાયા ઘીના સેમ્પલ
અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાદ્ય વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. ડબ્બાને સીઝ કરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જે કેટરર્સને ત્યાંથી આ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે તે કેટરર્સ અંબાજી મંદિરના મોહનશાળનો પ્રસાદ બનાવે છે. પ્રસાદ તૈયાર કરનાર મોહિની કેટરર્સ પર ગંભીર આરોપલ લાગ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે ચેકિંગ
મહત્વનું છે તહેવારોની સિઝન નજીક આવી રહી છે. મીઠાઈઓ તેમજ ખાવા પીવાની વસ્તુઓ લોકો બહારથી લાવતા હોય છે. તહેવારની સિઝન નજીક આવતા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અનેક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવે છે.