15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન બિરસા મુંડાની જયંતિ છે. સાંસ્કૃતિક વારસાની જાળવણી અને રાષ્ટ્રીય ગૌરવ, બહાદુરી અને આતિથ્યના ભારતીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આદિવાસીઓના પ્રયાસોને માન્યતા આપવા દર વર્ષે ‘જનજાતીય ગૌરવ દિવસ’ ઉજવવામાં આવે છે. વર્ષ 2022થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિવસને ઉજવવા પાછળનો હેતુ એ હોય છે કે આપણે તે વ્યક્તિના વ્યક્તિત્વને ઓળખીએ, તેમના સંઘર્ષોને જાણીએ.

15 નવેમ્બરે ઉજવવામાં આવે છે જનજાતિય ગૌરવ દિવસ
ત્યારે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવા પાછળનો પણ એ જ હેતુ હતો કે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના પરાક્રમી સંઘર્ષને લોકો જાણે. એ પણ હેતુ હતો કે આવનારી પેઢીઓ આપણા રાષ્ટ્ર માટે કરેલા આ અદમ્ય બલિદાનથી સારી રીતે જાણકાર બને. આદિવાસી સમાજનું બલિદાન અમુક પસંદગીના લોકોને આઝાદ કરાવવાના ધ્યેય પૂરતું મર્યાદિત ન હતું, પરંતુ તે સમગ્ર ભારતીય સમાજને વિદેશી ગુલામીમાંથી મુક્ત કરવાના એક મહાન પ્રયાસના ધ્યેયનું પ્રતીક હતું. આ જનજાતીય દિવસ મનાવવાનો હેતુ એ છે કે આપણા મૂળનિવાસીઓ એટલેકે આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક વિરાસતના સંરક્ષણ માટે તદુપરાંત આપણા રાષ્ટ્રીય ગૌરવ , વીરતા અને આતિથ્ય જેવા ભારતીય મૂલ્યોમાં આ મૂળનિવાસીઓ દ્વારા વધારો કરાયો તેને બિરદાવવા માટે ૨૦૨૨થી દર વર્ષે જનજાતીય ગૌરવ દિવસ મનાવવામાં આવે છે .

છેલ્લા શ્વાસ સુધી ઉઠાવ્યો આદિવાસીઓનો મુદ્દો!
બિરસા મુંડાએ આદિવાસીનો મુદ્દો ત્યારે ઉઠાવ્યો જ્યારે જમીનદારી પ્રણાલી હેઠળ, આદિવાસીઓને જમીનદારોમાંથી મજૂરોમાં પતન કરવામાં આવ્યા હતા, જેના પરિણામે બિરસાએ આદિવાસીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. ધર્માંતરણથી જનજાતિના લોકોને બચાવવા માટે હિંદુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાયે નવા પંથની સ્થાપના કરી જેને બિરસેત કહેવામાં આવ્યું. બિરસા મુંદા ઉપરાંત અનેક તિલકા માંઝી, કોમારામ ભીલ, તેલંગા ખારિયા, તિરોત ગાઓ સહિતના અનેક લોકોનો સમાવેશ થાય છે જેમણે પોતાના છેલ્લા શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષા માટે અંગ્રેજ સલ્તનત સામે સંઘર્ષ કર્યો હતો .

જાણીએ ભગવાન બિરસા મુંડા વિશે
બિરસા મુંડાની વાત કરીએ તો તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના દિવસે ઝારખંડમાં આવેલા રાંચીમાં થયો હતો. સાલ્ગા ગામમાં તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરૂં કર્યું અને ચાઈબાસા ઈંગ્લીશ મિડયમ સ્કૂલમાં તેઓ અભ્યાસ કરવા લાગ્યા. ત્યારથી લોકો તેમને ધરતી અબ્બા અને ભગવાનના હુલામણા નામ થી ઓળખવા લાગ્યા . તેમનો અંગ્રેજો સામે વિદ્રોહ કરવાનું સૌથી મોટું કારણ એ હતું કે અંગ્રેજ સલ્તનતે મૂળનિવાસીઓની જમીનને જમીનદારી પ્રથા અંતર્ગત બહારના લોકોને પધરાવી દીધી હતી ત્યારબાદ આ મૂળનિવાસીઓ પોતાનીજ જમીન પર મજૂર બની ગયા હતા અને શોષણકારી નીતિઓનો શિકાર થયા . ભગવાન બિરસા મુંડાએ આ સામંતવાદી રાજવ્યસ્થા સામે મોટો વિદ્રોહ કર્યો હતો . અને આ વિદ્રોહનું પરિણામ એ આવ્યું કે અંગ્રેજ સલ્તનતે ૧૯૦૮ માં છોટાનાગપુર કીરાએદાર કાયદો પાસ કર્યો અને ત્યાંની જમીનોનું ગૈરઆદિવાસી જાતીઓને થતું વેચાણ અટકાવ્યું .

સ્વતંત્ર સેનાની શહિદ વીર નારાયણ સિંહને કરીએ યાદ
હવે વાત કરીએ બીજા સ્વતંત્ર સેનાની શહિદ વીર નારાયણ સિંહની તો , તેઓ છત્તીસગઢના સોનખાનાનું ગૌરવ મનાય છે . તેમણે ૧૮૫૬ના છપ્પનિયા દુકાળની સામે ગરીબોની મદદ કરવા અનાજના સ્ટોકની લૂંટ કરી હતી . તદુપરાંત શહિદ વીર નારાયણ સિંહ એ ૧૮૫૭ના બળવાના છત્તીસગઢના પેહલા શહિદ મનાય છે. તે ઉપરાંત આંધ્રપ્રદેશના મૂળનિવાસી મહાનાયક કે જેમનું નામ અલ્લુરી સીતારામ રાજુ છે . તેમનો જન્મ ૧૮૯૭માં થયો હતો . તેમણે અંગ્રેજ સલ્તનતની સામેના રમપા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું.


માનગઢ હત્યાકાંડ જે સ્વાભિમાન અને સંઘર્ષનો અધ્યાય છે!
હવે વાત કરીએ સિદ્ધુ અને કાન્હુ મુર્મુ કે જેમણે ૧૮૫૫માં ૧૦૦૦૦ સંથાલ આદિવાસીઓને એકઠા કરીને અંગ્રેજ સલ્તનત સામે વિદ્રોહની શરૂઆત કરી હતી . ઇતિહાસના એક એવા અધ્યાયની પણ વાત કરીએ જે ખુબજ રક્તરંજિત છે . આ અધ્યાયના પાનાઓમાં સ્વાભિમાન અને સંઘર્ષનો પણ સમાવેશ થાય છે . આ અધ્યાય અત્યાર સુધી આપણા આઝાદીના સંગ્રામમાં ખુબજ છૂપો રહેલો છે. આ રક્તરંજિત અધ્યાય એટલે માનગઢ હત્યાકાંડ .

જાણીએ ગોવિંદગુરૂ ભગત વિશે
માનગઢ હત્યાકાંડના મૂળ ભગત આંદોલનમાં છે , કે જે ગોવિંદગુરૂ ભગત દ્વારા શરુ કરાયું હતું . ગોવિંદ ગુરુ મૂળનિવાસીઓમાં માંસાહાર, દારૂ ,ચોરી જેવી અનૈતિક પ્રવૃત્તિઓનો નિષેધ એટલેકે આ વ્યસનો છોડાવવા માંગતા હતા . તે માટે તેઓએ ૧૯૦૫માં સંપ સભાની સ્થાપના કરી હતી . તદુપરાંત આ અભિયાનને આંદોલનમાં રૂપાંતર કરાવ્યું હતું . ગોવિંદગુરુના જન્મ વર્ષ અંગે મતમતાંતરો છે કેટલાક ના મતે ૧૮૬૩ છે તો કેટલાકના મતે ૧૮૫૮ તો કેટલાક ના મતે ૧૮૭૪ છે . પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે તેમને સાબરમતી જેલમાં રખાયા હતા. પાછા આવીએ માનગઢ હત્યાકાંડ પર તો તેમાં અંગ્રેજો અને દેશી રજવાડાનો હાથ હતો . કારણકે ગોવિંદગુરુના આ આંદોલનને કારણે મૂળનિવાસીઓએ મોટી સંખ્યામાં દારૂ , માસ નો ત્યાગ કર્યો હતો . હવે આ આંદોલન માનગઢ આંદોલનમાં પરિવર્તિત થાય છે કારણકે અંગ્રેજો કુવામાં દારૂ ભેળવી દેતા અને આ મદિરાપાનના ત્યાગથી અંગ્રેજોના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો .

નીલામ્બર અને પીતામ્બરના બલિદાનને કરીએ યાદ!
હવે વાત કરીએ નીલામ્બર અને પીતામ્બર વિશે તો 1857માં ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે બળવો પોકારવામાં આવ્યો હતો. ઓક્ટોબર 1857માં, લાતેહાર જિલ્લાના ભાઈઓ - નીલામ્બર અને પીતામ્બર - આ વિસ્તારમાં બ્રિટિશ એજન્ટો સામેના હુમલામાં લગભગ 500 આદિવાસીઓનું નેતૃત્વ કર્યું. પલામુ કિલ્લો બળવાખોર આદિવાસીઓ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. પાછળથી, મજબૂત બ્રિટિશ દળોએ બળવાને દબાવી દીધો, ભાઈઓની ધરપકડ કરી અને તેમને લેસ્લીગંજ ખાતે ફાંસી આપી.

અલગ આદિવાસી રાજ્યની કરાઈ માગ!
આ અવસરે ગોવિંદ ગુરુના અનુયાયી પુંજા પારધીને યાદ કરવા રહ્યા . આ ભગત આંદોલનનું માનગઢ આંદોલનમાં રૂપાંતર થતા ગોવિંદ ગુરુએ દેશી રજવાડાઓ અને અંગ્રેજો સમક્ષ એક અલગ આદિવાસી રાજ્યની માંગ કરી . અંગ્રેજોના દસ્તાવેજ પ્રમાણે ૩ હજાર અને સ્થાનિક લોકવાયકા પ્રમાણે દોઢ લાખ જેટલા આદિવાસીઓ માનગઢની પહાડી પર એકઠા થયા હતા . સંતરામપૂર સ્ટેટે અંગ્રેજોને પત્ર લખી જાણ કરી , ત્યારબાદ આગલા દિવસથી જ માનગઢ પર લશ્કર આવી ગયું હતું તેમણે આ દોઢ લાખ જેટલા આદિવાસી ભાઈઓ પર ગોળીબાર કર્યો કે જે જલિયાવાલા બાગ કરતા પણ મોટો હત્યા કાંડ છે . આઝાદી વખતની બંધારણ સભામાં મૂળનિવાસીઓનું પ્રતિનિધિત્વ જયપાલ સિંહ મુંડા દ્વારા કરાયું હતું . તેઓ સારા હોકી પ્લેયર પણ હતા .
પીએમ મોદીએ ભગવાન બિરસા મુંડાને અર્પી પુષ્પાંજલી
આ મૂળનિવાસીઓના સમાજકારણની વાત કરીએ તો તેઓ ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ટોટલ ૧૦ કરોડ છે . એટલેકે આપણી કુલ વસ્તીના ૮.૬ ટકા છે . વાત કરીએ ગુજરાતની તો તેઓ ગુજરાતમાં ટોટલ તેમની વસ્તી ૮૯ લાખ છે . ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ એ દ્રૌપદી મુર્મુ છે. ગુજરાતના પ્રથમ મૂળનિવાસી મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી હતા. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી પર રાજનેતાઓએ તેમને યાદ કર્યા છે. પીએમ મોદી તેમના જન્મસ્થળ પહોંચ્યા હતા.