ચૂંટણી પહેલા નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રનું ગણિત કંઈક આવું કહી રહ્યું છે


  • Published By :
  • Published Date : 2022-11-17 22:25:00

Story by Samir Parmar

કુદરતના ખોળે વસેલા નર્મદા જિલ્લામાં બે વિધાનસભા ક્ષેત્રો આવેલા છે. એક નાંદોદ અને બીજી ડેડિયાપાડા. નાંદોદ આદિવાસી બેઠક છે એટલે આ બેઠક પર ધારાસભ્ય બનવા માટે જે ઉમેદવાર ઉભો રહે તે આદિવાસી સમાજમાંથી હોવો જોઈએ. જ્યારે ડેડિયાપાડા વિસ્તાર 90 ટકા આદિવાસી વિસ્તાર ધરાવે છે. એટલે કે નર્મદા જિલ્લામાં આદિવાસી લોકો વધારે છે. નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જંગ જામશે જ્યારે ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર AAPના ચૈતર વસાવાનું જોર વધારે લાગી રહ્યું છે.


નાંદોદ વિધાનસભા બેઠક

નાંદોદ વિધાનસભા બેઠક પર 2017માં પ્રેમસિંહ વસાવાએ કોંગ્રેસમાંથી જીત મેળવી હતી. તેમણે ભાજપના શબ્દશરણ તડવીને 5 હજાર જેટલા મતોથી હરાવ્યા હતા. 2017માં કોંગ્રેસે અને છોટુ વસાવાની પાર્ટી ભારતીય ટ્રાયબલ પાર્ટીએ સાથે મળીને ભાજપને હરાવી હતી. છતાં પણ શબ્દશરણ તડવીએ સારી ટક્કર આપી હતી તેવું કહી શકાય. તેની પહેલા 2012ની ચૂંટણીમાં ભાજપના શબ્દશરણ તડવીએ કોંગ્રેસના હરેશ વસાવાને 4 હજારની લીડથી હરાવ્યા હતા. આદિવાસી સમાજની આ બેઠક પર તડવી અને વસાવા એમ બે અટક વધારે જોવા મળે છે. નાંદોદ વિધાનસભામાં નાંદોદ તાલુકાના લોકો અને તિલકવાડા તાલુકાના લોકો મતદાન કરે છે. નાંદોદ તાલુકાનું ઢેફા ગામ ધારાસભ્યની ચૂંટણીમાં બીજે મતદાન કરે છે. આ ચૂંટણીમાં લાગી રહ્યું છે કે નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને વિપક્ષની લડાઈ રહેશે. નાંદોદ બેઠક પર આમ આદમી પાર્ટી કંઈ ખાસ નહીં કરી શકે તેવું સ્થાનિક પરિસ્થિતિ મુજબ લાગી રહ્યું છે.


નાંદોદ વિધાનસભામાં ભાજપે 54 વર્ષના દર્શનાબેન ચંદુભાઈ દેશમુખને ઉતાર્યા છે. દર્શના બેન દેશમુખ ભરૂચના પૂર્વ સાંસદ સ્વ. ચંદુભાઈ દેશમુખના પુત્રી છે. દર્શનાબેન પાસે 46.5 લાખની સંપતિ છે જ્યારે તેમના ડોક્ટર પતિ રાજકુમાર ચંદુલાલ ભગત પાસે 17.4 લાખ રૂપિયાની સંપતિ છે. દર્શનાબેન દેશમુખે 41 લાખ રૂપિયાની લોન પણ લીધેલી છે. દર્શના બેનનો પોલીસ રેકોર્ડ ક્લિયર છે, તેમના પર કોઈ પણ પોલીસ કેસ થયેલો નથી. વ્યવસ્યે દર્શનાબેન હોસ્પિટલમાં અને તેમના પતિ સરકારી ડોક્ટર છે. 


નાંદોદ વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ 38 વર્ષીય વસાવા પ્રફુલ દેવજીભાઈને ઉતાર્યા છે. પ્રફુલ વસાવા સામે કેવડિયા બચાવો આંદોલન દરમિયાન પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જ્યારે તેમની સામે કુલ 4 પોલીસ કેસ ચાલી રહ્યા છે. પ્રફુલ વસાવાના નામની વિધાનસભા ઉમેદવારીની જાહેરાત થતાંની સાથે જ નર્મદાના આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. પ્રફુલ વસાવા ભરૂચના ઝઘડિયાના વતની છે માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આયાતી ઉમેદવારને જાહેર કરતા વિરોધ નોંધાવ્યો હતો.  પ્રફુલ વસાવા અને તેમના પત્ની પાસે 1-1 લાખ રૂપિયાની હાથવગી સંપત્તિ છે. પ્રફુલ વસાવા પાસે કુલ 2 લાખ 69 હજારની સંપતિ છે જ્યારે તેમના પત્ની પાસે 8 લાખ 83 હજારની સંપતિ છે. વસાવા પ્રફુલ કોંગ્રેસના વોટ કાપશે તેવું સ્થાનિક માહોલ મુજબ લાગી રહ્યું છે.


નાંદોદ વિધાનસભામાં કોંગ્રેસે હરેશ જેંતીભાઈ વસાવાને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. હરેશ વસાવા નર્મદાના નાંદોદમાં પ્રદેશ મહામંત્રી પણ રહ્યા છે. તેઓ ખેતી પણ ધરાવે છે અને હોન્ડા કંપનીનો એક શોરૂમ પણ ધરાવે છે. હરેશ વસાવાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે જમા કરાવેલા એફિડેવિટ મુજબા તેમણે બેંક પાસેથી કુલ 6 લાખની લોન લીધી છે. તેમની કુલ ઓન હેન્ડ મિલકત 60 લાખ છે. જ્યારે હરેશ વસાવા 8 લાખની જમીન-મિલકતના માલિક પણ છે. 


ભાજપે દર્શનાબેન દેશમુખને ટિકિટ આપી છે માટે હર્ષદ વસાવા નારાજ થઈ ગયા હતા. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓએ આજે અપક્ષમાં ફોર્મ ભર્યું છે. નર્મદા જિલ્લામાં ભાજપના મોટા કાર્યક્રમો હર્ષદ વસાવાની નજર હેઠળ જ થતાં હતા. ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી વિકાસ યાત્રા કાઢી હતી તેની કામગીરી હર્ષ વસાવાને જ સોંપી હતી. અપક્ષમાં ઉમેદવારી કર્યા બાદ હર્ષદ વસાવા ભાજપ અને કોંગ્રેસના વોટ કાપશે તેવું લાગી રહ્યું છે. હર્ષદ વસાવા બે વાર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ આદિજાતીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જ્યારે હર્ષદ વસાવા ભાજપથી નારાજ થયા ત્યારે પોતાના વર્ચસ્વના ઘણા ભાજપના નેતાઓને તેમણે પોતાની સાથે લઈ લીધા હતા એટલે ભાજપમાં પણ નાનું ભંગાણ થયું હતું. પણ હવે ચૂંટણીમાં તેમને કેટલા મત મળશે તે સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરશે. 


ડેડિયાપાડા વિધાનસભા બેઠક 

1.93 લાખ મતદારો ધરાવતા ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં 90 ટકા આદિવાસી સમાજના મતદારો છે. ડેડિયાપાડાના મતદારો સામાન્ય રીતે કોઈ એક પાર્ટી સુધી સિમિત નથી રહ્યા. જો કોઈ વ્યક્તિ આ વિધાનસભા પર ચૂંટાઈ આવ્યો છે તો તે બે ટર્મ સુધી જીતી શક્યો નથી. વિધાનસભા ચૂંટણીમાં સમયાંતરે પાર્ટીઓ બદલાતી રહી છે. વર્ષ 2017માં છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાની આગેવાનીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી લોકોને મનાવવામાં સફળ રહી હતી ત્યારે વર્ષ 2012માં મોતિલાલ વસાવાએ બીટીપીને જીતાડી હતી. તેની પહેલા વર્ષ 2007માં અમરસિંહ વસાવા કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા. 2017માં ભારતીય ટ્રાયબલ પાર્ટીના મહેશ છોટુભાઈ વસાવાએ ભાજપના મોતીલાલ વસાવાને 23 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. ભાજપે આ વખતે મોતીલાલ વસાવાની જગ્યાએ હિતેશ વસાવાને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે ડેડિયાપાડામાં જેરમાબેન વસાવાને અને આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉતાર્યા છે. કોંગ્રેસના કમિટેડ વોટરને ભાજપ નથી તોડી શક્યું. ડેડિયાપાડા બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીનો ત્રીપાંખિયો જંગ રહેશે. બીટીપીએ બહાદુરભાઈ વસાવાને ટિકિટ આપી છે પણ તેઓ એટલા મજબૂત નેતા નથી તેવું લોકોનું કહેવું છે. 


ભાજપે પોતાના 31 વર્ષીય યુવા નેતા હિતેશ વસાવાને ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર મેદાને ઉતાર્યા છે. હિતેશ વસાવા દિવાલ વસાવાના પુત્ર છે. દિવાલ વસાવા પહેલા કોંગ્રેસમાં હતા તેમાંથી તેઓ ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં જોડાયા હતા અને અંતે તેઓ બીટીપીમાંથી ભાજપમાં આવ્યા હતા. જેથી દિવાલ વસાવાના પુત્ર પણ ભાજપમાં સક્રિય છે. યુવા હિતેશ વસાવાને ભાજપે ડેડિયાપાડાની ટિકિટ આપતા સૌ ચોંકી ગયા હતા કારણ કે મોટા અને જાણિતા નેતાઓની ટિકિટ કાપીને હિતેશ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. તેઓ નર્મદાના ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે. તેઓ ભાજપના યુવા મોરચામાં પણ સક્રિય રહ્યા છે. ચારેક વર્ષ અગાઉ હિતેશ વસાવા ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાથે જોડાયેલા હતા. જોકે પછી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા હતા. એન્જિનિયરિંગ કરેલા હિતેશ વસાવા પાસે 6.94 લાખ રૂપિયાની સંપતિ હાથવગી છે. જો કે તેમની પાસે કુલ 53 લાખ રૂપિયાથી વધારેની સંપતિ છે. 


કોંગ્રેસે 52 વર્ષીય જેરમાબેન વસાવાને ડેડિયાપાડાની ટિકિટ આપી છે. જેરમા વસાવા કોંગ્રેસના કાર્યકર છે. એફિડેવિટમાં નોંધાવ્યા મુજબ તેમની પાસે હાથવગી રકમ 1.35 લાખ રૂપિયા છે જ્યારે તેમના પતિ સુકલાલ વસાવા પાસે 3.45 લાખ રૂપિયા હાથવગી રકમ છે. જેરમા બેન પાસે કુલ 40 લાખથી વધુ જ્યારે તેમના પતિ પાસે કુલ 66 લાખ રૂપિયાની સંપત્તિ છે. જેરમાબેન વસાવા ડેડિયાપાડામાં કોંગ્રેસના સ્થાનિક કામગીરીમાં સક્રિય છે. જેરમાબેન વસાવા આદિવાસી લખાવે છે પણ ક્રિશ્યન ધર્મને માને છે. તેઓ 3 હજારથી વધુ ક્રિશ્ચન મહિલાઓનું સંગઠન પણ ચલાવે છે. ડેડિયાપાડામાં કોંગ્રેસનો નાનો વર્ગ છે જે આજે પણ માત્ર કોંગ્રેસને જ વોટ કરે છે. ભાજપે બહુ મહેનત કર્યા બાદ પણ કોંગ્રેસના તે કમિટેડ વોટરને જીતી નથી શક્યું.


 આમ આદમી પાર્ટીએ 34 વર્ષના યુવા નેતા ચૈતર દામજીભાઈ વસાવાને ડેડિયાપાડા વિધાનસભા ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે. ચૈતર વસાવાને છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાના ખાસ મિત્ર માનવામાં આવે છે. જ્યારે તેઓ ઉમેદવારી નોંધાવવા જતા હતા ત્યારે તેમણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં માનવ કીડીયારું ભરાયું હતું. ચૈતર વસાવા પાસે કુલ 29 લાખ જેટલી સંપત્તિ છે તેવું તેમણે એફિડેવિટમાં દર્શાવ્યું છે. મહેશ વસાવાએ ટિકિટ ના આપી એના કારણે તેમણે ચૈતર આમ આદમી પાર્ટીમાં જોડાયા. ચૈતર વસાવા ડેડિયાપાડામાં મોટું નામ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ચૈતર વસાવા ડેડિયાપાડા બેઠક પર સૌથી તાકતવર ચહેરો છે તેવું સ્થાનિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.






સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..