અતીક અહેમદની ગોળી મારી હત્યા, જાણો કોણ હતો અતીક, શા માટે તેને UPનો પહેલો ગેંગસ્ટર કહેવામાં આવતો હતો?


  • Published By :
  • Published Date : 2023-04-16 11:40:05

ગેંગસ્ટરમાંથી બાહુબલી નેતા બનેલા અતીક અહેમદની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી. શનિવાર, 15 એપ્રિલ, 2023 ના રોજ રાત્રે પોલીસ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને તબીબી તપાસ માટે લઈ જઈ રહી હતી. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો તેમને ગોળી વાગવાથી બંનેના મોત થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા 13 એપ્રિલ, 2023ના ગુરુવારે અતીક અહેમદનો પુત્ર અસદ ઝાંસીમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અસદની સાથે અતિક અહેમદનો અન્ય એક ગુડોં 'ગુલામ' પણ હતો અને બંને એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટર અને તેની જ હત્યા સાથે તેની ગુનાખોરીની દુનિયાનો પણ અંત આવી ગયો છે. આવો જાણીએ કોણ હતો અતીક અહેમદ અને શા માટે તેને ઉત્તર પ્રદેશનો પહેલો ગેંગસ્ટર કહેવામાં આવે છે?


કોણ હતો અતીક અહમદ?


ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા અતિક અહેમદની અલ્હાબાદ (પ્રયાગરાજ)માં, અતીક ભયનું બીજું નામ હતો, તે સમાજવાદી પાર્ટીનો નેતા હતો. આ પાર્ટીની ટિકિટ પર તે ઉત્તર પ્રદેશ વિધાનસભા અને લોકસભામાં પણ પહોંચ્યો હતો. અતીક અહેમદ અલાહાબાદ પશ્ચિમ મતવિસ્તારમાંથી  રેકોર્ડ સતત 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો. પહેલા તે 1989માં અહીંથી ચૂંટણી જીત્યો હતો. 1989માં તે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો અને જીત્યો હતો. આ પછી તેણે ક્યારેય રાજકારણમાં પાછું વળીને જોયું નથી. 1989 માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી, અતીક અહેમદ અપક્ષ તરીકે આગામી બે વિધાનસભા ચૂંટણી લડ્યો અને જીત્યો હતો. આ પછી, 1996માં, તે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સતત ચોથી વખત વિધાનસભા ચૂંટણી જીત્યો હતો. 1999 થી 2003 સુધી, તે સોનેલાલ પટેલ દ્વારા રચિત અપના દળનો પ્રમુખ હતો. આ દરમિયાન તે  2002માં અપના દળની ટિકિટ પર પાંચમી વખત ધારાસભ્ય બન્યો હતો.


2004ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની ફુલપુર બેઠક પરથી અતીક અહેમદને ઉમેદવાર બનાવ્યો હતો. માફિયા અતીક લોકસભાની ચૂંટણી જીતીને લોકશાહીનું મંદિર કહેવાતી સંસદમાં બેઠો હતો.


ઉત્તર પ્રદેશનો પ્રથમ ગેંગસ્ટર


મીડિયાના 2013ના રિપોર્ટ મુજબ, ઉત્તર પ્રદેશમાં અતીક અહેમદ પ્રથમ વ્યક્તિ હતો  જેના પર ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. કહેવાય છે કે વર્ષ 1979માં અતીક અહેમદે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે સમયે તેના પર હત્યાનો આરોપ હતો. શનિવાર, 15 એપ્રિલ 2023 ના રોજ અતીક અહેમદની હત્યા સુધી, તેની સામે કુલ 70 ફોજદારી કેસ નોંધાયા હતા. અતીક અહેમદ સામે તાજેતરનો કેસ પ્રયાગરાજના ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ મામલો ઉમેશ પાલ મર્ડર કેસ સાથે સંબંધિત હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ઉમેશ પાલ વર્ષ 2005માં બહુજન સમાજ પાર્ટી (BSP)ના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો.


રાજુ પાલની હત્યા


25 જાન્યુઆરી 2005ના રોજ બસપા નેતા રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી. રાજુ પાલના પત્નીએ એફઆઈઆર નોંધાવી હતી, જેમાં અતિક અહેમદ, અશરફ અને 7 અજાણ્યા લોકોના નામ નોંધવામાં આવ્યા હતા. રાજુ પાલની હત્યા માત્ર એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેણે 2005ની પેટાચૂંટણીમાં અલ્હાબાદ પશ્ચિમ બેઠક પર અતિક અહેમદના ભાઈ અશરફને હરાવીને જીત મેળવી હતી. અતીક અહેમદ 2004ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ અલ્હાબાદ પશ્ચિમ બેઠક ખાલી પડી હતી. અતીકના પરિવારને લાગ્યું કે તે આ સીટ સરળતાથી જીતી જશે. પરંતુ રાજુ પાલ સામે હાર્યા બાદ અતિક અને તેના પરિવારને આઘાત લાગ્યો હતો, જેનો બદલો રાજુ પાલની હત્યા કરીને લેવામાં આવ્યો હતો. રાજુ પાલને તેમના ઘર નજીક જ ગોળી મારી દેવામાં આવી હતી. આ દરમિયાન તે તેના બે સાથી સંદીપ યાદવ અને દેવીલાલ સાથે હોસ્પિટલથી પરત ફરી રહ્યો હતો.


અતીક અહેમદે કર્યું સરેન્ડર 


અતીક અહેમદ સામે રમખાણો કરાવવા, હત્યાનો પ્રયાસ, હત્યા અને ગુનાહિત કાવતરા રચવા સહિત અનેક કેસ નોંધવામાં આવ્યા હતા. રાજકીય અને પોલીસના દબાણને કારણે આખરે અતીક અહેમદે વર્ષ 2008માં આત્મસમર્પણ કર્યું હતું. વર્ષ 2008માં જ સમાજવાદી પાર્ટીએ અતીક અહેમદને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો. માયાવતીએ પણ તેમને બસપાની ટિકિટ આપવાનો ઈન્કાર કર્યો હતો. અતીકને કોઈ પણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો. તેથી જ તેને 2009ની લોકસભા ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2012માં તે જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો.


રાજકારણમાં રી-એન્ટ્રી


વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ ફરી એકવાર અતીક અહેમદને શ્રાવસ્તી સીટ પરથી પોતાના ઉમેદવાર બનાવ્યો હતો. આ ચૂંટણીમાં અતીક અહેમદને સારા મત મળ્યા હતા, પરંતુ તેઓ ભાજપના દદ્દન મિશ્રા સામે લગભગ એક લાખ મતથી હારી ગયા હતા. આ હાર બાદ અતીક અહેમદની પડતીની શરૂઆત થઈ હતી. સમાજવાદી પાર્ટીમાં પણ અખિલેશ યાદવ સાથે તેમના સંબંધો બગડવા લાગ્યા હતા. તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવે અતીક અહેમદનો ક્રાઈમ રેકોર્ડ જોઈને તેનાથી અંતર જાળવવાનું શરૂ કર્યું હતું.


PM મોદી સામે ચૂંટણી લડ્યો 


10 ફેબ્રુઆરી 2017ના રોજ, અલ્હાબાદ હાઈકોર્ટે અતીક અહેમદની ક્રિમિનલ હિસ્ટ્રી માંગી અને પોલીસ સુપ્રીટેન્ડેન્ટને તમામ આરોપીઓની ધરપકડ કરવા કહ્યું હતું. અતીક અહેમદની 11 ફેબ્રુઆરીએ જ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જેલમાં હોવા છતાં, અતીક અહેમદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં અતીક અહેમદને 855 વોટ મળ્યા હતા.


ઉમેશ પાલ હત્યા કેસ


24 ફેબ્રુઆરી 2023ના રોજ, રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલની સાથે તેના પોલીસ સુરક્ષા ગાર્ડની પણ હત્યા કરવામાં આવી હતી. આ સંબંધમાં પોલીસે 25 ફેબ્રુઆરીના રોજ અતીક અહેમદ, તેની પત્ની શાઇસ્તા પરવીન, બંને પુત્રો, તેના નાના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધી હતી. અતીકનો પુત્ર અસદ આ હત્યાકાંડ બાદથી ફરાર હતો, જે યુપી-એસટીએફ દ્વારા ઝાંસીમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.


અતીક અહેમદને મંગળવારે જ સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજની કોર્ટમાં હાજર થવા માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે મીડિયાની સામે ઘણી વખત પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તેની હત્યા થઈ શકે છે, તેને ઉત્તર પ્રદેશ પોલીસના ઈરાદા પર શંકા છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.